રાજકોટ જિલ્લામાં ધો.૧૧માં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ શિક્ષણતંત્ર દ્વારા કરાઇ રહેલી સુચારૂ વ્યવસ્થા

રાજકોટતા. ૨૪ જુન : રાજકોટ જિલ્લો શિક્ષણનું હબ ગણાય છે. વર્તમાન સમયમાં રાજકોટ જિલ્લાની કુલ માધ્યમિક શાળાઓ ૭૬૦ જેટલી છે. સામાન્ય પ્રવાહની કૂલ ૪૪૮ અને વિજ્ઞાન પ્રવાહની કુલ ૧૨૬ સ્કુલો છે. સમગ્ર જિલ્લામાં ધોરણ ૧૦ ના અંદાજિત ૪૪ હજાર વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં અંદાજિત ૩૧ હજાર જેટલી અને ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ૯૫૦૦ જેટલી જગ્યા પ્રવેશ માટે ઉપલબ્ધ છે.

કોરોનાની મહામારીના કારણે સરકારશ્રી દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ બાબતને ધ્યાને રાખીને ધોરણ ૧૦ ના તમામ વિદ્યાર્થીઓ પાસ થતા ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કુલ ૫૭૪ શાળા ઉપલબ્ધ છે. જેથી સામાન્ય પ્રવાહના ૩૧ હજાર વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના ૯૫૦૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.

ચાલુ વર્ષે કોઈ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તેની વ્યવસ્થા શિક્ષણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટેડ શાળામાં ૨૩ અને સરકારી શાળામાં ૬ વર્ગ વધારાની મંજૂરી મેળવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેથી વિજ્ઞાન પ્રવાહમાં ૧૧,૮૦૦ જેટલા તથા સામાન્ય પ્રવાહમાં ૩૪ હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તેટલી ક્ષમતાનો વધારો થશે. આ ઉપરાંત, વર્ગ દીઠ ૬૦ ના બદલે ૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશની અનુમતિ આપવામાં આવતા રાજકોટ જીલ્લામાં અંદાજીત ૩ હજાર જેટલા વધુ વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ માં સમાવી શકાશે. ઉપરોક્ત કારણોસર સમગ્ર જિલ્લામાં ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવાની કોઇ સમસ્યા નહીં રહે અને બાળકોને નજીકની શાળામાં જ પ્રવેશ મળી રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાની યાદીમાં જણાવાયું છે