
મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે સરકાર પર કટાક્ષ કરતા શાસન પર અનેક સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના મહા સચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 9 પ્રશ્નો પૂછવા માંગે છે. તેમણે કહ્યું કે અમે 9 વર્ષ 9 પ્રશ્નો માટે એક દસ્તાવેજ પણ બહાર પાડી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે શુક્રવારે મોંઘવારી, બેરોજગારી અને અન્ય કેટલાક મુદ્દાઓ પર નવ પ્રશ્નો પૂછ્યા અને કહ્યું કે વડાપ્રધાને તેમના વચનો પૂરા ન કરીને દેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેમણે માફી માંગવી જોઈએ.
મુખ્ય વિપક્ષી દળે આરોપ લગાવ્યો કે વડાપ્રધાને આપેલા વચનો કાલ્પનિક હતા અને એક પણ વચન પૂર્ણ થયું નથી. કોંગ્રેસે ‘નૌ સાલ, નૌ સવાલ’ નામની પુસ્તિકા પણ બહાર પાડી અને કહ્યું કે 26 મેને વડાપ્રધાન મોદીએ ‘માફી દિવસ’ તરીકે મનાવવો જોઈએ.
કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી અનેક ટ્વીટમાં પીએમ મોદીને 9 પ્રશ્નો પૂછ્યા છે. આ ટ્વીટમાં કોંગ્રેસે કહ્યું કે આ 9 વર્ષ નિષ્ફળતાના છે. પાર્ટીએ કહ્યું કે આ 9 વર્ષ દેશ માટે દુઃખના છે. છેલ્લા 9 વર્ષમાં બંધારણ, લોકશાહી, ખેડૂતો, કુસ્તીબાજો સહિત દેશનો કોઈ પણ વર્ગ મોદીના હુમલાથી અછૂતો રહ્યો નથી. પીએમ મોદીએ દેશને દાયકાઓ પાછળ ધકેલી દીધો છે. આ નિષ્ફળતાના 9 વર્ષ છે.
પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, નવ વર્ષ બાદ આજે કોંગ્રેસ નવ પ્રશ્નો પૂછી રહી છે. રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન આ પ્રશ્નો પૂછ્યા હતા, પરંતુ વડાપ્રધાન અને સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. તેમણે પૂછ્યું કે, વડા પ્રધાન, મોંઘવારી અને બેરોજગારી આસમાને કેમ છે? આર્થિક અસમાનતા કેમ વધી રહી છે? શા માટે ખેડૂતોની આવક બમણી નથી થઈ, ખેડૂતોને આપેલા વચનો કેમ પૂરા નથી થયા, MSPની કાયદેસર ગેરંટી કેમ આપવામાં આવી નથી?
રમેશે એ પણ પૂછ્યું કે, SBI અને LICમાં જમા કરાયેલા લોકોની મહેનતના પૈસા અદાણીને ફાયદો કરાવવા માટે આ જૂથમાં શા માટે રોકવામાં આવ્યા, અદાણી જૂથની નકલી કંપની ઓમાં જમા કરાવેલા 20 હજાર કરોડ રૂપિયા કોના છે? તેમણે કહ્યું, “વડાપ્રધાન, તમે ચીનને લાલ આંખ બતાવવાની વાત કરવા છતાં ચીનને ક્લીનચીટ કેમ આપી? રાજકીય લાભ માટે, ચૂંટણીના ફાયદા માટે ભયનું વાતાવરણ કેમ બનાવવામાં આવી રહ્યું છે? એવું શા માટે છે કે તમે મહિલાઓ, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ પર અત્યાચારને લઈને ચૂપ રહો છો, તમે જાતિ આધારિત વસ્તી ગણતરી પર કેમ ચૂપ છો?”
’26 મેને માફી દિવસ તરીકે ઉજવો’ : કોંગ્રેસ મહાસચિવે પૂછ્યું, “એવું શા માટે છે કે વિપક્ષી નેતાઓ સામે બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વિપક્ષ શાસિત સરકારોને અસ્થિર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? શું એવું નથી કે 40 લાખ લોકો ગેરવહીવટના કારણે મૃત્યુ પામ્યા અને શા માટે અસરગ્રસ્ત પરિવારોને વળતર આપવામાં ન આવ્યું?” તેમણે કહ્યું કે વડાપ્રધાને આ પ્રશ્નો પર મૌન તોડવું જોઈએ.
કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેડાએ કહ્યું કે વડાપ્રધાને આજના દિવસને માફી દિવસ તરીકે ઉજવવો જોઈએ. વડાપ્રધાને તમામ દેશવાસીઓની માફી માંગવી જોઈએ, કારણ કે ભારતના લોકો સાથે દગો કરવામાં આવ્યો છે.” ખેરાએ જણાવ્યું હતું કે, તેમણે જે વાતો અને વચનો આપ્યા હતા તે બધા કાલ્પનિક હતા.
વધુમાં વાંચો… સરહદોને દૂર કરીને દુનિયાને એક કરવાનો સંદેશ આપતી ફિલ્મ “ધ ક્રિએટર- સર્જનહાર” 26મી મે એ રિલીઝ થઈ

કુદરત દ્વારા એક જ દુનિયાની રચના કરવામાં આવી હતી, પરંતુ સમય જતા માણસોએ તેને પોતાના સ્વાર્થ માટે તે જાતિ, ધર્મ, દેશ વગેરેમાં વિભાજીત કર્યું. પરંતુ શું આજના સમયમાં વિશ્વને એક સૂત્રમાં બાંધી શકાય છે? આવા ક્રાંતિકારી વિચાર સાથે બનાવવામાં આવેલ ફિલ્મ “ધ ક્રિએટર- સર્જનહાર” એ “વન વર્લ્ડ, વન રિલિજન પર આધારિત છે. આ ફિલ્મનું આ મહિનામાં જ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેની દર્શકો દ્વારા ઘણી પ્રશંસા કરાઈ છે. અલગ વિષયવસ્તુ ધરાવતી આ ફિલ્મ 26મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
જેનો અમદાવાદમાં પીવીઆર, રાણીપ ખાતે ભવ્ય પ્રીમિયર શો યોજાયો હતો. આ પ્રસંગે ફિલ્મના પ્રોડ્યુસર શ્રી રાજેશ કરાટે “ગુરુજી”, ફિલ્મના સ્ટાર દયાનંદ શેટ્ટી ઉપરાંત, બોલીવુડ અભિનેતા આદિત્ય પંચોલી, બોલીવડ અભિનેત્રી અમિષા પટેલ અને મહિમા ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ ફિલ્મનું લેખન અને નિર્દેશન પ્રવીણ હિંગોનિયાએ કર્યું છે, જયારે આ ફિલ્મની સંકલ્પના તૈયાર કરવાનો શ્રેય રાજેશ કરાટે “ગુરુજી”ને જાય છે કે જેઓ આ ફિલ્મના નિર્માતા પણ છે. ‘રાજેશ કરાટે ગુરુજીનો સત્ય શબ્દ સંશોધન નામનો આશ્રમ મહેસાણામાં ચાલે છે, ત્યાં તેઓ સંશોધનનું કાર્ય કરે છે.’ તેમણે અને રાજુભાઈ પટેલે મળીને ધ ક્રિએટર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મના કલાકારોની વાત કરીએ તો તેમાં દયાનંદ શેટ્ટી, શાજી ચૌધરી, આર્ય બબ્બર, રજા મુરાદ, અનંત મહાદેવન, પ્રમોદ મહોતો, નીલૂ કોહલી, સંજય સ્વરાજ, ગુરદીપ કોહલી, રોહિત ચૌધરી, ભુવનેશ મામ, જશ્ન કોહલી, બુશરા શેખ, હિમાની સાહની, અલિઝા સહગલ, જેવા સશક્ત કલાકારોનો સમાવેશ થાય છે. ફિલ્મ વિષે વાત કર્તા શ્રી રાજેશ કરાટે “ગુરુજી” એ જણાવ્યું હતું કે, ” આ ફિલ્મમાં એ દર્શાવવામાં આવ્યું છે કે માનવી દ્વારા બનાવવામાં આવેલ રચના ધર્મ, જાત- ભાતને દૂર કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ ફિલ્મમાં એ સંદેશ આપવામાં આવ્યો છે કે સત્ય શું છે અને તેની સાબિતી શું છે. તેમજ દુનિયા કેમ કરીને બદલી શકાય? તેની સાબિતી શું છે? એ અંગે નું સસ્પેન્સ પણ આ ફિલ્મ નિહાળ્યા બાદ જાણી શકાશે. શું કોઈ કલ્પના હકીકત બની શકે? “એક વિશ્વ, એક ધર્મ” તેમજ નવી દુનિયા કે જે હજારો વર્ષથી ચાલતી પરંપરા, રીતિ- રિવાજ, જાત- ભાત વગેરેના ભેદભાવ દૂર કરતી આ ફિલ્મ તેની સાબિતી છે.
આ ફિલ્મમાં એક કલ્પના દર્શાવવામાં આવી છે અને જો તે શક્ય બને તો શું થઈ શકે તે તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.” ફિલ્મમાં એક વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી રહેલા દયાનંદ શેટ્ટીએ પોતાના ક્રાંતિકારી વિચારોથી દુનિયાને બદલવાની કલ્પના કરતા આ પ્રસંગે કહ્યું- “આ ફિલ્મનો વિષય ખૂબ જ રસપ્રદ અને પોતાનામાં ખૂબ જ અનોખો છે અને આ જ કારણ છે કે હું આ ફિલ્મમાં કામ કરવાનું નક્કી કર્યું. આ ફિલ્મ સમગ્ર વિશ્વના કલ્યાણનો સંદેશ આપે છે. હું ફિલ્મમાં વૈજ્ઞાનિક ડૉ. રેની ભૂમિકામાં છું. મને આશા છે કે દર્શકોને મારા પાત્રની સાથે સાથે ફિલ્મ પણ ગમશે.” નિર્દેશક પ્રવીણ હિંગોનિયાએ જણાવ્યું હતું કે, “અમારી ફિલ્મ પ્રેમ અને શાંતિને પ્રોત્સાહન આપે છે. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, આ ફિલ્મ દ્વારા અમે આ સંદેશ આખી દુનિયામાં આપવા માંગીએ છીએ. માણસ એક ફ્રી બર્ડની જેમ હોવો જોઈએ, જેથી તે આખી દુનિયામાં મુક્તપણે ઉડી શકે.” આ ફિલ્મનું મ્યુઝિક આસિફ ચંદવાની, પરશુરામ મિશ્રા, રુદ્ર ગૌતમ વગેરે એ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં જુદી-જુદી જગ્યાએ થયું છે. આ અલગ વાર્તા દર્શાવતી ફિલ્મ “ધ ક્રિએટર- સર્જનહાર”ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.