08 Oct 22 : મહારાષ્ટ્રના નાસિકમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક ટ્રક સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી હતી, જેમાં 11 લોકો સળગીને મૃત્યુ પામ્યા હતા. આ કરૂણ અકસ્માતમાં એક બાળકનું પણ મોત થયું છે. પુણે તરફ જતી આ બસમાં નાસિક-ઔરંગાબાદ રોડ પર આ અકસ્માત થયો હતો. આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. નાસિક પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી છે. નાશિક પોલીસે જણાવ્યું કે મૃતદેહો અને ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે સરકારે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે ચાલતી બસમાં આગ લાગી ગઈ હતી. જયારે કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરોથી ભરેલી બસ પલટી ગઈ, ત્યારબાદ આગ લાગી ગઈ.
અકસ્માતનો ભોગ બનેલી બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. અહેવાલો અનુસાર, ઘટના સમયે મુસાફરો સૂઈ રહ્યા હતા અને તેમને બચવાની તક મળી ન હતી. આંકડા દર્શાવે છે કે લગભગ 25 લોકો તેમાં દાઝી ગયા છે. જેમાં લગભગ 11 લોકોના મોત થયા હતા, જેમાં એક બાળક પણ સામેલ છે. સીએમ શિંદે સતત જિલ્લા પ્રશાસનના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે ઘાયલોની સારવારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ ઘટના મારા ઘર પાસે બની હતી. ઘટના બાદ બસમાં આગ લાગી હતી અને લોકો દાઝી ગયા હતા. અમે જોયું પણ કંઈ કરી શક્યા નહીં. બાદ માં ફાયર વિભાગ અને પોલીસ આવી હતી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે.
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનો વિરોધ ગુજરાતમાં, 200 લોકો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા
07 Oct 22 : રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનો આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજસ્થાનના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના યુવાનોએ દાંડી યાત્રા કરી ગુજરાત આવ્યા હતા. દાંડીથી તેઓ આજે સવારે કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ ઓફિસનો ઘેરાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો.
150 કિમી યાત્રા કરીને દાંડી યાત્રા પર યુવાનો પહોંચ્યા હતા ત્યાર બાદ રાજસ્થાનમાં બેરોજગારીને લઈને નારાઓ લગાવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલાય ખાતે વિવિધ જિલ્લાના યુવાનો અમદાવાદ આવ્યા હતા. બેરોજગારીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યા છે.
રાજસ્થાનમાં ચૂંટણી દરમિયાન વાયદા બેરોજગારીને લઈને આપ્યા હતા. તે પૂરા ન થતા આ વિરોધ કરવામાં આવ્યો હતો. બજેટમાં કરાયેલી ઘોષણા, સમજૂતી કરાર, શિક્ષક ભરતી તેમજ અન્ય પદો ખાલી છે. તે તમામ મામલે તેમણે વિરોધ કર્યો હતો. 200 જેટલા લોકો એકત્રિત થયા હતા અને તેમણે ધરણા પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ કોંગ્રેસ ઓફિસનો સવારથી જ તેમણેટ ઘેરાવો કરી વિરોધ કર્યો હતો. એક બાજુ અશોક ગેહલોતને ગુજરાતમાં ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે બીજી બાજુ આ રીતે ગુજરાતમાં જ રાજસ્થાનના યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.