
13 Sep 22 : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રાજયમાં પશુઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ નિરંતર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં કહ્યું કે, રાજ્યમાં સામાન્ય, આદિજાતિ અને અનુસુચિત જાતિ વિસ્તારમાં અનુક્રમે ૨૦, ૧૦ અને ૧૦ એમ કુલ ૪૦ નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરાશે. જેમાં પશુચિકિત્સા અધિકારી તેમજ એટેન્ડેન્ટ અને પટાવાળાની જગ્યાઓ પણ મંજુર કરવામાં આવી છે.
રાઘવજીભાઈ એ વધુમાં કહ્યું કે,રાજ્યમાં પશુપાલનને ખેતીના પૂરક વ્યવસાય તરીકે નહિ પરંતુ એક આગવા વ્યવસાય તરીકે અપનાવવામાં આવ્યો છે. તેને કારણે પશુપાલકો પરંપરાગત પશુપાલનને બદલે સારી ઓલાદના અને વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓ રાખીને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરતા થયા છે. આ સંજોગોમાં રાજયના પશુપાલકોના પશુઓને ગુણવત્તાસભર પશુઆરોગ્ય સેવાઓ નિરંતર મળતી રહે તે અતિ આવશ્યક છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૨૪૦ લાખની બજેટ જોગવાઈ સાથે સમગ્ર રાજ્યમાં વધુ ૪૦ નવા સ્થાયી પશુદવાખાનાની સ્થાપના કરવા મંજુરી આપી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલ રાજ્યમાં ૭૦૨ પશુ દવાખાના અને ૩૪ વેટરીનરી પોલીક્લિનીક એમ કુલ ૭૩૬ સ્થાયી પશુ સારવાર સંસ્થા કાર્યરત છે. આ ઉપરાંત રાજ્ય સરકાર સંચાલિત ૪૫ અને GVK-EMRI મારફતે પી.પી.પી. ધોરણે કાર્યરત ૪૬૦ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ પણ ઉપલબ્ધ છે. તેમાં આ નવા ૪૦ સ્થાયી પશુદવાખાનાનો ઉમેરો થતાં રાજ્યના પશુપાલકોને પોતાના નજીકના સ્થળે પશુસારવાર અને સંલગ્ન તમામ સેવાઓ મળી રહેશે.