આગામી 25ને બુધવારે ગીરનારની ગોદમાંથી પાંચ દિવસની કરણી યાત્રાનો થશે પ્રારંભ

આગામી તા.25 ને બુધવારનાં રોજ ગીરનારનાં બલીયાવળથી પાંચ દિવસની કરણી યાત્રાનો પ્રારંભ થનાર છે. દેવલમાં બહોળી સંખ્યામાં ભક્તો સાથે રાજસ્થાનનાં વિવિધ ધાર્મિક સ્થળોએ યાત્રા કરશે અને ભક્ત ગણોને દર્શનનો લાભ દઈને ભાવવિભોર કરશે. રાજસ્થાનની યાત્રામાં ભાદ્રેશ (ઈશરદાસજી) તેમડેરાય (આવળમાં), ભાદરીયારાય (આવળમાં), ગડીયાલાધામ (કરણીમાં), દેશનોક (કરણીમાં), બહુચરાજી સહિતનાં તિર્થધામ પર દેવલમાં યાત્રા કરશે.

આ પાંચ દિવસની યાત્રાની વધુ વિગત જોઈએ તો આગામી બુઘવારને તા.25 નાં રોજ સવારે 9:21 મીનીટે જૂનાગઢનાં બલીયાવળથી માતાજી યાત્રા માટે પ્રસ્થાન કરશે અને બહોળી સંખ્યામાં વધુ ભક્તો પણ આ યાત્રામાં જોડાશે. સવારે 11 વાગ્યે રાજકોટ પહોંચશે. જ્યાં ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ત્યાંથી 1 વાગ્યે મોરબી પહોંચશે. ત્યારબાદ લાકઠીયા, સૂઈગામ અને સાંજે 7 વાગ્યે સૂહાગી પહોંચશે. જ્યાં રાત્રી પ્રસાદનું તેમજ વિશ્રામની વ્યવસ્થા રાખવામાં આવી છે. યાત્રાનાં બીજા દિવસે તા.26 ને ગુરૂવારનાં રોજ સૂહાગીથી તેમડેરાયની યાત્રા શરૂ થશે. જેમાં સવારે 7 વાગ્યે સૂહાગીથી પ્રસ્થાન કરીને સાતા, ઓહટન, બાડમેર થઈને 12 વાગ્યે ભાદ્રેશ પહોંચશે. જ્યાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ત્યારબાદ સુરા, દુદાબેરી, બલેવા, હરસાણી, ઝાકલી, ફતેહગઢ, સાંગડ, સુમલીઆઈથી થઈને સાંજે 6:15 વાગ્યે તેમડેરાય પહોંચશે. જ્યાં આવળમાં ની મહાઆરતી કરાશે અને મહાપ્રસાદ તેમજ વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી છે.

યાત્રાનાં ત્રીજા દિવસે તા.27 નાં રોજ સવારે 8 વાગ્યે તેમડેરાયથી પ્રસ્થાન કરીને જેસલમેર પહોંચશે. જ્યાં પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેસલમેરથી ભાદરીયારાય, ગડીયાલા, બિકાનેર થઈને સાંજે 5:30 કલાકે દેશનોક પહોંચશે, જ્યાં માં કરણીની મહાઆરતી કરાશે તેમજ રાત્રી વિશ્રામ પણ ત્યાંજ કરાશે. યાત્રાનાં ચોથા દિવસે તા.28 ને શનિવારનાં રોજ દેશનોકથી સવારે 7 વાગ્યે પ્રસ્થાન કરીને નોખા, જોધપુર થઈને બપોરે 1 વાગ્યે બાસની પહોંચશે. જ્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાંથી સિરોહી થઈને
પાલનપુર પહોંચશે. યાત્રાનાં પાંચમાં દિવસે સવારે 8 વાગ્યાથી પાલનપુરથી પ્રસ્થાન કરીને 10 વાગ્યે બહુચરાજી પહોંચશે. જ્યાં મહાઆરતી યોજાશે. ત્યાંથી માતાજી જૂનાગઢનાં બલીયાવળ ખાતે આવવા પ્રસ્થાન કરશે અને ગીરનારના માતાજી દેવલમાંના આશ્રમ ખાતે માતાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમજ સામૈયા કરવામાં આવશે. આ પાંચ દિવસની કરણી યાત્રામાં માતાજી અનેક જગ્યાએ પોતાના ભાવિભકતોને દર્શનનો લાભ આપી ભાવવિભોર કરશે.

આ યાત્રા દરમ્યાન દર્શન લાભાર્થી ભક્તો યાત્રાનાં નજીકનાં સ્થળે આવીને માતાજીનાં દર્શનનો લાભ લઇ શકશે. માતાજીની આ યાત્રામાં લ્હાવો લેવા તેમજ માં ના આશિર્વાદ મેળવવા માટે બહોળી સંખ્યામાં આઈ ભક્તો જોડાવવાના છે. તેમજ યાત્રાનાં રૂટ પર જેવા કે, સૂહાગી, તેમડેરાય, દેશનોક, સિરોહી આ ચાર જગ્યાએ ભવ્યાતી ભવ્ય કરણીજીનું સંધ્યા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કરણીજીનાં પદપૂજન માટે ગીરનારથી નિકળનાર આ યાત્રામાં આઈ ભક્તો જોડાશે. એક ગુજરાતી દૂહો છે કે, માં તારું દર્શન દુર્લભ છે અને તારા દર્શનથી અમારા દુ:ખ ભાગે છે. અરજ કરીને માં ને શીશ નમાવી છીએ અને એ જ ધન ભાગ્ય આજ આપણા સૌના છે. આ ધનભાગ્યનો લાભ લઇ માતાજીનાં દર્શન માટે સૌ કોઈને આવવા અનુરોધ છે અને આ દુનિયામાં માં થી મોટું કોઈ નથી. પછી ભલે ને હોય જળધર કે જગદીશ, માં ને સૌ કોઈ નમાવે શીશ. આ પાંચ દિવસની યાત્રામાં જોડાવા માટે સૌ કોઈ ભક્તોને આમંત્રણ છે.

કરણીજી મહારાજનું સંધ્યા પૂજન પાંચ દિવસીય યાત્રા દરમિયાન યાત્રાના રૂટમાં આવનાર સૂહાગી, તેમડેરાય, દેશનોક ને સિરોહી ખાતે આઇશ્રી કરણીજી મહારાજનું સંધ્યા પૂજન આઇશ્રી દેવલમાં નાં કરકમલો દ્વારા કરવામાં આવશે. ભવ્યાતિ ભવ્ય સંધ્યા પૂજનનાં દર્શનનો લ્હાવો લેવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ ઉઠી રહ્યો છે. રાજકોટ ખાતે ભવ્ય સ્વાગત સામૈયા વાંક પરિવારનાં આંગણે રાજકોટ તારીખ 25 નાં સવારે 10 વાગ્યે આઇશ્રી દેવલમાં પધારવાના છે. શ્રીક્રિષ્ના ગૌશાળા મવડી પાળ રોડ ટીલાળા ચોક ખાતે સ્વ. રામસુરભાઈ ગોરાભાઇ વાંક, સ્વ. બાબુભાઈ રામસુરભાઈ વાંક, સ્વ. બટુકભાઈ રામસુરભાઈ વાંક પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ચારણ સમાજની અનેક સંસ્થાઓ દ્વારા આઇશ્રી દેવલમાં નું સ્વાગત સામૈયાની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.