
11 Nov 22 : ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરત બાદ હવે કચ્છમાં પણ આ ઓપરેશન ચાલી રહ્યું હોવાની વિગતો સામે આવી છે. ગાંધીધામ, અંજાર અને ભુજમાં ભાગીદારોના ઘરો અને ઓફિસો પર જેમાં 30થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાની વિગતો મળી રહી છે. આવક વેરા વિભાગની સઘન કામગિરી અત્યારે ચૂંટણી સમયે જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છમાં ફાયનાન્સ, પ્રોપર્ટી વગેરેના વ્યવસાય સાથે સંકળાયેલાને આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જેમ જેમ ત્રણેય મોટી પાર્ટીઓએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે તેમ તેમ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તેવામાં ચૂંટણી વચ્ચે આવકવેરા વિભાગે તવાઈ બોલાવવાનું શરુ કર્યું છે. આવકવેરા વિભાગ સક્રીય બન્યું છે. ગાંધીધામ, અંજાર અને ભુજમાં દરોડા દરમિયાન મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે. રાજકીય ફંડ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. દરોડામાં મુખ્યત્વે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બિઝનેસમેન ઉપરાંત ફાયનાન્સ બ્રોકર્સ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ પર નજર રાખવામાં આવી રહી છે. ઘણા સમયથી આઈટી વિભાગ દ્વારા આ દરોડાના પગલે રિયલ એસ્ટેટના ધંધાર્થીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. કેમ કે, અગાઉ પણ વિવિધ શહેરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
વધુમાં વાંચો… કોંગ્રેસ BTP વચ્ચેના ગઠબંધનની અટકળોનો આવ્યો અંત, બીટીપીના ગઢમાં જાહેર કર્યા ઉમેદવારો, 2017માં હતું ગઠબંધન
કોંગ્રેસ BTP ગઠબંધન થશે કે કેમ આ અટકળોનો અંત આવ્યો છે. કોંગ્રેસે મોડી રાત્રે યાદી જાહેર કરી તેમાં બીટીપીના ગઢમાં ઉમેદવારો જાહેર કર્યા છે. 2017માં તેમની વચ્ચે ગઠબંધન હતું પરંતુ આ વખતે કોઈ ગઠબંધનને લઈને સમાચાર સામે નથી આવ્યા. ઝઘડીયા, ડેડીયાપાડામાંથી ટિકિટો જાહેર થતા આ વાતનો અંત આવ્યો છે.
ગુજરાતમાં કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 46 સભ્યોની બીજી યાદીમાં પ્રથમ તબક્કાના બાકીના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસની ઉમેદવારોની જાહેરાત બાદ આ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. કોંગ્રેસે ડેડિયાપરા બેઠક પરથી જેરમાબેન વસાવા અને ઝઘડીયા બેઠક પરથી ફતેહસિંહ વસાવાના નામથી જાહેરાત કરાઈ છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ અને BTPએ ગઠબંધન કર્યું હતું. આ વખતે બીટીપી ગઠબંધનને લઈને ચર્ચામાં રહી છે. ખાસ કરીને આપ સાથે ગઠબંધન તૂટ્યા બાદ જેડીયુ સાથે પણ ગઠબંધનને લઈને પણ ચર્ચા હતી ત્યારે કોંગ્રેસ સાથેનું ગઠબંધન નહીં થાય તે વાતનો અંત આવ્યો છે.
જેમાં લલિત વસોયાને પણ ટિકિટ આપવામાં આવી છે જેથી તેઓ બીજેપીમાં નહીં જોડાય તે વાતનો પણ અંત આવ્યો છે. હાલમાં કોંગ્રેસે બંને યાદી સાથે કુલ 89 નામોની જાહેરાત કરી ચૂકી છે. ત્યારે વધુ નામો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. એનસીપી સાથે ગઠબંધનની પણ જાહેરાત કરવામાં આવી નથી, જેનો અર્થ છે કે ત્રણ રાજકીય પક્ષો, કોંગ્રેસ અને બીટીપી અને એનસીપી પોતાના દમ પર મેદાનમાં ઉતર્યા છે.