સુરત : મહુવાના જોળ ગામે સાડા પાંચ વીંઘા જમીનના બોગસ દસ્તાવેજ બનાવી ભત્રીજાઓએ વેચી મારી

29 July 22 : બારડોલી – મહુવા તાલુકાનાં જોળ ગામે સર્વે નંબર 239, 240, બ્લોક નંબર 280 વાળી વણવહેંચાયેલી જમીન ખોટી સહી અને ખોટા વસિયતનામાના આધારે બોગસ દસ્તાવેજ બનાવી વેચી દેતાં 86 વર્ષીય વૃદ્ધે તેના ભત્રીજાઓ અને તત્કાલિન તલાટી સહિત 10 સામે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ છે.

હાલ નવસારી જિલ્લાના જમાલપોરની રાધેશ્યામ સોસાયટીમાં રહેતા ,મૂળ મહુવા તાલુકાનાં કાની ગામના વતની બળવંતભાઈ ઉર્ફે બલ્લુભાઈ નાયક (ઉ.વર્ષ 86) નિવૃત્ત જીવન ગુજારે છે. મહુવા તાલુકાના જોળ ગામે સર્વે નંબર 239, 240 અને બ્લોક નંબર 280થી નોંધાયેલી જૂની શરતની હે.આરે. 1-45-00 એટલે કે અંદાજિત સાડા પાંચ વીંઘા જેટલી જમીનના મૂળ માલિક બળવંતભાઈના માતા પાલીબેન ઉર્ફે પાર્વતિબેન લલ્લુભાઈ નાયકના નામે ચાલી આવી હતી.

વર્ષ 1987-88માં બળવંતભાઈના ભાઈ બાબુભાઈ લલ્લુભાઈ નાયક તેના સંતાનો સુશિલાબેન બાબુભાઈ નાયક, કિરણભાઈ બાબુ ભાઈ નાયક, જયેશ ભાઈ બાબુભાઈ નાયક અને રાજેન્દ્રભાઈ બાબુભાઈ નાયકે ભેગા મળી ઉપરોક્ત જમીન પચાવી પાડવાના ઇરાદે માતા પાર્વતિબેનની જગ્યાએ અન્ય વ્યક્તિએ બોગસ અંગૂઠાનું નિશાન કરી તત્કાલિન તલાટી કમ મંત્રી અનિલભાઈ ગોપાળભાઈ દેસાઇ (રહે, રાણત, તા. મહુવા)એ વસિયતનામાનું રજી સ્ટર કરાવેલ હતું. બોગસ વસિયતનામાને આધારે બાબુભાઈ લાલુભાઈ નાયકે રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરાવ્યુ હતું. જેની 135 (ડી) મુજબની નોટિસ ની બજવણીમાં પણ બળવંતભાઈ તથા તેમના બીજા મોટાભાઈ રમણભાઈ લલ્લુભાઈ પટેલની ખોટી સહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત આ નોટિસમાં મણિબેન લલ્લુભાઈ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આવી કોઈ વ્યક્તિ વારસદાર તરીકે ન હોવાનું ફરિયાદમાં જણાવવા માં આવ્યું છે. બાદમાં બાબુભાઈ નાયકનું 1992 માં અવસાન થતાં સુશિલાબેન બાબુભાઈ નાયક, કિરણ બાબુભાઈ નાયક, જયેશભાઈ બાબુભાઈ નાયક અને રાજેન્દ્રભાઈ બાબુભાઈ નાયકે ખોટી વરસાઈ કરાવી હતી.

દરમ્યાન વર્ષ 2012માં આ જમીન રમણબેન ભીખુભાઈ પટેલ (રહે ડુંગરા, તા. કામરેજ)ને વેચી તેમના નામનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જેમાં સાક્ષી તરીકે કમલેશ ઈશ્વર પટેલ અને ભરત ઈશ્વર પટેલે સહી કરી હતી. આમ વણવહેંચાયેલા જમીનના હિસ્સાને પચાવી પાડવાના બદઈરાદાએ ખોટી સહી અને બોગસ દસ્તાવેજો ઊભા કરી વેચી દીધી હતી. આ અંગે બળવંતભાઈએ સુશિલા નાયક, કિરણ નાયક, જયેશ નાયક, રાજેન્દ્ર  નાયક, ભીખુ ભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ (તમામ રહે કાની, મહુવા), તલાટી કમ મંત્રી અનિલભાઈ દેસાઇ, જમીન વેચાણ લેનાર રમણબેન પટેલ સામે ફરિયાદ કરતાં પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.