મુખ્યમંત્રીએ આજે વટેશ્વર વનનું લોકાર્પણ કર્યું, ગુજરાતમાં આવા 21 વનો આવેલા છે, જાણો ક્યાં છે આ વનો અને તેની વિશેષતાઓ

12 Aug 22 : મુખ્યમંત્રીએ આજે દૂધરેજ, સુરેન્દ્રનગર જિલ્લા વટેશ્વર વનનું લોકાર્પણ કર્યું છે. ગુજરાતમાં આવા 21 વનો આવેલા છે. 2021 સુધીમાં રાજ્ય માં કુલ 21 સાંસ્કૃતિક વનનું નિર્માણ થયુ : દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસર ગુજરાત રાજ્યના સ્થાપના કાળથી રાજ્ય સ્તરીય વન મહોત્સવ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દર વર્ષે ઉજવાતો હતો. પરંતુ દેશના દીર્ધદૃષ્ટા વડાપ્રધાન ને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સ્તરીય વન મહોત્સવ માત્ર પાટનગરમાં જ સિમીત ન રાખતા રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધામિક દૃષ્ટિએ અગત્યતા ધરાવતા રાજ્યના જુદા જુદા સ્થળોએ ઉજવવાની શરૂઆત વર્ષ 2004થી કરી અને આ સાથે ઉજવણી સ્થળે સાંસ્કૃતિક વન સ્થાપનાની એક નવી પહેલ અને પરંપરા શરૂ થઈ. આ પરંપરાને આગળ લઇ જતા વર્ષ 2021 સુધીમાં રાજ્યમાં કુલ 21 સાંસ્કૃતિક વનનો સ્થાપના કરવામાં આવી છે.

-21 સાંસ્કૃતિક વનનો સ્થાપના 
સૌ પ્રથમ ગાંધીનગર ખાતે વર્ષ ર૦૦૪માં પ્રથમ સાંસ્‍કૃતિક વનનું નિર્માણ કર્યું . તે આજે પુનિત વન તરીકે ઓળખાય છે. ત્યારબાદ વર્ષ ર૦૦પ માં બનાસ કાંઠા જીલ્‍લાના અંબાજી ખાતે ‘‘માંગલ્‍ય વન’’, વર્ષ ર૦૦૬ માં મહેસાણા જીલ્‍લાના તારંગા ખાતે ‘‘તીર્થંકર વન’’, વર્ષ2007માં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ‘‘હરિહર વન’’, વર્ષ 2008માં સુરેન્‍દ્રનગર જીલ્‍લાના ચોટીલા ખાતે ‘‘ભકિત વન’’, વર્ષ 2009માં સાબરકાંઠા જીલ્‍લાના શામળાજી ખાતે ‘‘શ્‍યામલ વન’’, વર્ષ ર૦૧૦માં ભાવનગર જીલ્‍લાના પાલીતાણા ખાતે ‘‘પાવક વન’’, વર્ષ ર૦૧૧માં વડોદરા જીલ્‍લાના પાવાગઢ ખાતે ‘‘વિરાસત વન’’, વર્ષ 2012માં મહિસાગર જીલ્‍લાના માનગઢ ખાતે ‘ગોવિંદગુરૂ સ્‍મૃતિવન’ વર્ષ 2013માં દેવભૂમિ દ્વારકા જીલ્‍લાના દ્વારકા ખાતે ‘‘નાગેશ વન’’, વર્ષ ૨૦૧૪ માં રાજકોટ જીલ્‍લાના કાગવડ ખાતે ‘‘શક્તિ વન’’ વર્ષ ૨૦૧૫માં નવસારી જીલ્‍લાના ભીનાર ખાતે ‘‘જાનકી વન’’, વર્ષ 2016માં આણંદ જિલ્લાના વહેરા ખાડી ખાતે ‘‘મહિસાગર વન’’ વર્ષ 2016માં વલસાડ જીલ્‍લાના કપરાડા ખાતે ‘‘આમ્રવન’’, વર્ષ 2016માં સુરત જીલ્‍લાના બારડોલી ખાતે ‘‘એક્તા વન’’, વર્ષ 2016માં જામનગર જીલ્‍લાના ભૂચરમોરી ખાતે ‘‘શહીદ વન’’, વર્ષ 2017માં સાબરકાંઠા જીલ્‍લાના વિજયનગર ખાતે ‘‘વીરાંજલી વન’’ વર્ષ 2018માં કચ્છ જીલ્‍લાના ભુજ તાલુકા ખાતે ‘‘રક્ષક વન’’, વર્ષ 2019માં અમદાવાદના ઓઢવ ખાતે ‘‘જડેશ્વર વન’’ વર્ષ 2020માં રાજકોટ ખાતે ‘‘રામવન વન’’, વર્ષ 2021માં વલસાડ જીલ્‍લાના ઉમરગામ ખાતે ‘‘મારૂતિવંદન વન’’નું નિર્માણ થયું છે. આ વર્ષે 2022માં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા ખાતે ‘વટે શ્વર વન’નું નિર્માણ થશે. જેનું ઉદઘાટન આજે સીએમએ કર્યું છે.