રાજકોટમાં લાખો લોકોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં આવતીકાલે તિરંગા યાત્રા

11 Aug 22 : રાજકોટ શહેરમાં ૧૨મી ઓગસ્ટે લાખો નાગરિકોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આશરે બે કિલોમીટર લાંબી આ યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ જિલ્લા વહીવટી તંત્રે વ્યક્ત કર્યો છે.

જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના જણાવ્યા પ્રમાણે, આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ૧૨મી ઓગસ્ટે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. બહુમાળી ભવન ચોક ખાતે સવારે ૮ કલાકથી દેશભક્તિ જગાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થશે. સવારે ૯ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં , શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી,ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા નવસારીના સાંસદશ્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી CR પાટીલની ઉપસ્થિતિમાં તિરંગાયાત્રા ની શરૂઆત થશે. મહાત્મા ગાંધીજીના સંભારણા જ્યાં જોડાયેલા છે એવી રાષ્ટ્રીય શાળા ખાતે આ યાત્રાનું સમાપન થશે.

આ યાત્રામાં પોલીસ તથા ફાયર બ્રિગેડના બાઇક્સ, પોલીસ બેન્ડ, એન.સી.સી. બ્રહ્માકુમારી તથા ગુરુકુળ મંડળ સહિતના વિવિધ મંડળો જોડાશે. આ ઉપરાંત ધારાસભ્યશ્રી ઓ, સાંસદશ્રી ઓ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,RK યુનિવર્સિટી, મારવાડી અને આત્મીય સહિત વિવિધ યુનિવર્સિટીઓ, સરદાર ધામ ગ્રુપ તેમજ ખોડલધામ ગ્રુપ સહિતના સામાજિક સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગગૃહો તથા વેપારી સંગઠનો, ડોક્ટર્સ, વકીલો, સરકારી અધિકારી અને કર્મચારીગણ વગેરે જોડાઈને તિરંગા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરશે.

આ યાત્રાનાં રૂટ પર વિવિધ સ્થળોએ સ્ટેજ પરથી દેશભક્તિ જગાવતા વિવિધ કાર્યક્રમો રજૂ કરીને યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.

કલેકટરશ્રીએ અપીલ કરી છે કે, યાત્રામાં જોડાનાર તમામ દેશપ્રેમીઓ પૂરા આદર અને સન્માન સાથે જમણા હાથમાં તિરંગો લઈને ચાલે. તિરંગાની વ્યવસ્થા વહીવટી તંત્ર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે. નાગરિકો ફ્લેગ કોડ મુજબનો તિરંગો જાતે પણ લાવીને ઉત્સાહ પૂર્ણ જોડાઈ શકે છે.

તેમણે તમામ નાગરિકોને તિરંગા યાત્રામાં જોડાવાનો અનુરોધ કરતા કહ્યું કે, આ કાર્યક્રમ આપણા સૌનો છે. આપણે બધાએ તેમાં જોડાવું જોઈએ અને એક કલાક દેશ માટે ફાળવવી જોઈએ. માત્ર રાજકોટ જ નહિ, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તેમાં લોકો જોડાશે અને આ યાત્રા એક ઐતિહાસિક સંભારણું બની રહેશે.