03 Nov 22 : રાજકોટ – મોરબીનાં ઝૂલતા પુલની દુર્ઘટના અન્વયે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મોચી બજાર કોર્ટ કમ્પાઉન્ડ ખાતે યુનિટી ઓફ લોયર્સ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવા શોક સભા રાખવામાં આવી હતી. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના મેમ્બરશ્રી દિલીપભાઈ પટેલ, યુનિટી ઓફ લોયર્સના રાજેન્દ્રસિંહ ગોહિલ, યોગેશભાઇ ઉદાણી, ધીમંતભાઇ જોષી, હેમાંગભાઇ જાની, નોટરી એસોસિએશનના પ્રકાશસિહ ગોહિલ, બારના ભુતપૂર્વ પ્રમુખ બકુલભાઇ રાજાણી, બાર એસોસિએશનના ઉપપ્રમુખ સિધ્ધરાજસિહ જાડેજા, હિતેશ દવે, ધર્મેશ સખીયા, સુમિત વોરા,દિલીપ મહેતા,કિસાન રાજાણી, નૃપેન ભાવશાર, હિરેન ડોબરીયા, અજય પીપળીયા, વિવેક સાતા, નિમિષ પટેલ, રાજેશ મહેતા, પિયુષ સખીયા, રાજેશ નસીત, કૈલાશ જાની, હેમલભાઇ ગૉહેલ, ભાવેશ બાંભવા સહિતના તમામ વકીલોએ મોટી સંખ્યામા ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવી બે મિનિટ નું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દુર્ઘટનામાં મુત્યુ પામનાર લોકોના આત્માની શાંતિ તથા તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે, તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
ઓમ શાંતિ શાંતિ શાંતિ – ગુજરાત મોરબીની પડખે…
મોરબીમાં પુલ દુર્ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોક વ્યક્ત કરાયો છે. મોરબીના મૃતકોના આત્માની શાંતિ માટે રાજકોટ મહાનગર તેમજ જિલ્લામાં વિવિધ સ્થળોએ શોકસભા ઓ-પ્રાર્થનાસભાઓ યોજાઈ હતી. રાજકોટ મહાનગર પાલિકા, જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવેલ.
શોકના માહોલ વચ્ચે સમગ્ર ગુજરાત તમામ રીતે મોરબીની પડખે ઊભું છે. બુધવારે રાજકોટ મહાનગરના વિવિધ વોર્ડમાં મોરબી દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે શોકસભાઓ યોજાઈ હતી. જેમાં મેયર શ્રી પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, વિવિધ કોર્પોરેટરો, વોર્ડના પ્રમુખો, પ્રભારીઓ તથા નાગરિકોએ ઉપસ્થિત રહીને શોકાંજલિ પાઠવી હતી. રાજકોટ મહાનગર પાલિકા કચેરી ખાતે પણ પ્રાર્થનાસભા યોજાઈ હતી.
રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, કર્મચારીઓ, પદાધિકારીઓ વગેરેએ દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. રાજકોટ તાલુકા પંચાયત ખાતે પણ અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ દ્વારા મોરબીના હતભાગીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. જિલ્લાના કાગદડી તથા આણંદપર ગામમાં ગ્રામ પંચાયત ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. જ્યારે વિછીયા ગ્રામ પંચાયત કચેરીના મિટિંગ હોલમાં ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ આ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.
પુલ દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ માટે રાજકોટ શહેર-જિલ્લામાં ઠેર-ઠેર અપાઈ શોકાંજલિ
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના અન્વયે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે, જે અન્વયે રાજકોટની વિવિધ સરકારી કચેરીઓમાં શોક વ્યક્ત કરી દિવંગતો પ્રત્યે શોક વ્યક્ત કરાયો હતો.
જેમાં ધોરાજી, જેતપુર, જામકંડોરણા, લોધિકા, કોટડાસાંગાણી, પડધરી તાલુકા પંચાયત તથા ઉકરડા, મોટા ખીજડીયા, ગઢડા, દહીંસરડા, મોવૈયા, ડુંગરકા, સુવાગ, મોટા રામપર, થોરીયાળી, ન્યારા, તરઘડી, ખંઢેરી, અમરેલી સહિતની ગ્રામ પંચાયતોના કર્મચારીઓ તથા રાજકોટ પી.જી.વી.સી.એલ. કોર્પોરેટ ઓફિસ, રાજકોટ વોર્ડ નંબર ૯ ખાતે કોર્પોરેટરો, પ્રમુખો, સભ્યો તેમજ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોમાં પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, પ્રાંત અધિકારીઓશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, જુદા જુદા તમામ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિત નગરજનોએ દુર્ઘટનાના મૃતકો પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો હતો. દિવંગતોના આત્માઓની શાશ્વત શાંતિ માટે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ તેમના પરિવારજનોને આ ઘટનાથી લાગેલા આઘાતને સહન કરવાની શક્તિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના કરી હતી.
ગિરનાર લીલી પરિક્રમામાં પરિક્રમાથીઓ માટે સરકારી દવાખાના ઊભા કરવામાં આવશે
ગરવા ગિરનારની લીલી પરિક્રમા નો કારતક સુદ અગિયારસના એટલે કે 4 નવેમ્બર ની મધ્યરાત્રીથી પ્રારંભ થવાનો છે ગિરનાર પરિક્રમાનો રુટ ૩૬ કિ.મી જેટલા લાંબો હોવાની સાથે કઠિન ચઢાણ વાળો છે પરિણામે પરિક્રમાથીઓને આરોગ્ય સંબંધીત નાની મોટી તકલીફો થવાની સંભાવનાઓ રહેતી હોય છે જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પરિક્રમા ના રૂટ ઉપર ઝીણા બાવાનીમઢી માળવેલા બોર દેવી અને ભવનાથના સરકારી દવાખાના ઉભા કરવામાં આવશે ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ઈમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સુવિધાઓ પણ પરિક્રમાથીઓ માટે કાર્યરત રાખવામાં આવશે ઉપરાંત વનવિભાગ દ્વારા પણ સમગ્ર પરિક્રમા ના રૂટ ઉપર 16 જેટલી હંગામી રાવટીઓ ઊભી કરવામાં આવી છે અહીંયા થી પણ લોકોને જરૂરી પ્રાથમિક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આમ યાત્રાળુઓનું આરોગ્ય ન જોખમાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવે છે ભાવિકોના આરોગ્યની કાળજી માટે પરિક્રમા ના રૂટ ઉપર આરોગ્યને હાનિકારક હોય તેવા ફરસાણ વાસી કે પડતર ખોરાક તથા ખરાબ ખાણીપીણીની વસ્તુઓ ની તકેદારી રાખવામાં આવશે.