‘કાશ્મીરમાં સિનેમાના નામે ગંદકી સહન નહીં કરીએ’, આતંકવાદી સંગઠન TRFની ધમકી

File Image
File Image

20 Sep 22 : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. સરકારનો દાવો છે કે આ નિર્ણય બાદ સ્થિતિમાં સુધારો થયો છે. સેનાએ ઓપરેશન ઓલ આઉટ ચલાવીને ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા છે. પરંતુ કાશ્મીરના આતંકવાદી સંગઠનોને આ બધું પસંદ આવી રહ્યું નથી.

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LET) સાથે જોડાયેલા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે ઘાટીમાં સિનેમા અને સ્પોર્ટ્સ જેવી વસ્તુઓના પ્રચાર સામે ધમકીભર્યો પત્ર જારી કર્યો છે. ટીઆરએફનો આરોપ છે કે આ સ્પોર્ટ્સને સુરક્ષા દળો દ્વારા પ્રાયોજિત કરવામાં આવી રહી છે. ત્યારે સિનેમા અને મનોરંજનના નામે સમાજમાં ગંદકી ફેલાવવામાં આવી રહી છે.

એક દિવસ પહેલા, 18 સપ્ટેમ્બરે, પુલવામા અને શોપિયાંમાં એક મલ્ટીપર્પઝ સિનેમા હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પુલવામા અને શોપિયાંમાં મલ્ટીપર્પઝ સિનેમા હોલનું ઉદ્ઘાટન કર્યું હતું. સરકાર જલ્દી જ અનંતનાગ, શ્રીનગર, બાંદીપોરા, ગંદેરબલ, ડોડા, રાજૌરી, પુંછ, કિશ્તવાડ અને રિયાસીમાં આવા મલ્ટીપર્પઝ સિનેમા હોલ ખોલવા જઈ રહી છે.

ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે પત્રમાં લખ્યું, ધાર્મિક ઉપદેશકોની ધરપકડ, થિયેટર ખોલવા, સુરક્ષા દળો દ્વારા રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને શાળાઓમાં નિયમિત પ્રાર્થનાને બદલે હિન્દુ મંત્રોનો જાપ કરાવવા, આ બધુ સંયોગ નથી, પણ પૂર્વ આયોજિત છે. ઘણા વર્ષોથી આનું આયોજન કરવામાં આવ્યું હતું અને આર્ટિગલ 370 નાબૂદ થયા પછી અમલમાં મૂકવામાં આવ્યું.

આતંકવાદી સંગઠને આગળ લખ્યું છે કે તેઓ (ભારત સરકાર) જાણતા હતા કે ધાર્મિક ઉપદેશકો તેનો વિરોધ કરશે, તેથી તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. સ્થાનિક લોકો આ કૃત્યોથી પ્રભાવિત થયા, પરંતુ તેઓએ (ખાસ કરીને શિક્ષકોએ) સ્વેચ્છાએ આ બધું સ્વીકાર કરી લીધું.

TRFએ પત્રમાં આગળ લખ્યું છે કે શિક્ષકોની દલીલ છે કે જો તેઓ તેનો વિરોધ કરતે તો નોકરી ગુમાવવાનો ભય હતો. પરંતુ વિડંબના એ છે કે થોડા રૂપિયા માટે તેમણે પોતાની ધાર્મિક ઓળખ દૂર કરી દીધી. પરંતુ રેઝિસ્ટન્સ ફાઈટર્સ (TRF) મૂક દર્શક બનીને નહીં રહી શકે. અમે આનો હિંસક બદલો લઈશું.

આતંકવાદી સંગઠન TRFએ ધમકી આપી છે કે આ તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ પર હુમલો છે. શાળાના અભ્યાસક્રમ કે મનોરંજનના નામે સમાજમાં ગંદકીને સાંખી લેવામાં આવશે નહીં. તેઓ તેની સામે કાર્યવાહી કરશે.ધમકી બાદ પણ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ આતંકવાદીઓ સામે મક્કમતાથી લડી રહી છે. જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કિશ્તવાડમાં પત્રકારોને જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે મનોરંજનના માધ્યમો ફરી શરૂ કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી. કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની વાત કરીએ તો, 5 ઓગસ્ટ 2016 અને 4 ઓગસ્ટ 2019 વચ્ચે કુલ 930 ઘટનાઓ બની હતી, જે 370ને હટાવ્યા બાદ ઘટીને 617 થઈ ગઈ છે. આ આતંકવાદી ઘટનાઓમાં જ્યારે 370 અમલમાં હતી એ દરમિયાન 290 સૈનિકો શહીદ થયા હતા અને 191 નાગરિકો માર્યા ગયા હતા. જયારે કલમ 370 હટાવ્યાના 3 વર્ષ પછી, 174 સૈનિકો શહીદ થયા અને 110 લોકો માર્યા ગયા.